વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે - વૈષ્ણવજન
સકળલોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે -વૈષ્ણવજન
સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જીહવા થકી અસત્ય ના બોલે પરધન નવ ઝાલે હાથ રે -વૈષ્ણવજન
મોહ માયા વ્યાપે નહિ જેને દ્રઢ વૈરાગ્ય જેના મન માં રે
રામ નામ શું તાળી લાગી સકળ તીરથ તેના તન માં રે -વૈષ્ણવજન
વણલોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે -વૈષ્ણવજન