વૈષ્ણવજન તો તેને કહીએ


વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે      
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે         - વૈષ્ણવજન

સકળલોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે           -વૈષ્ણવજન

સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જીહવા થકી અસત્ય ના બોલે પરધન નવ ઝાલે હાથ રે      -વૈષ્ણવજન

મોહ માયા વ્યાપે નહિ જેને દ્રઢ વૈરાગ્ય જેના મન માં રે
રામ નામ શું તાળી લાગી સકળ તીરથ તેના તન માં રે          -વૈષ્ણવજન

વણલોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે

ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે            -વૈષ્ણવજન